Agriculture News : ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના અમીરગઢના 87 વર્ષીય ખેડૂત ઠાકોરભાઈ પૂનમભાઈ પટેલની ખેતી અચૂક જોવા-જાણવા જેવી છે. આ ખેડૂત ખેતીને એક વ્યવસાય તરીકે અપનાવીને સમૃદ્ધિનું ખેડાણ કરી મોટી ઉંમરે પણ સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને તેમનાં સફળ સાહસનો વ્યાપ પણ વધારી રહ્યા છે.
શરૂઆતનાં વર્ષોમાં કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડામાંથી માતૃબીજ મેળવીને તેઓએ ગવાર, ડુંગળી, સોયાબીન અને એરંડા જેવા પાકોના હાઈબ્રીડ બીજ તૈયાર કરી બીજ નિગમને પૂરાં પાડ્યાં હતાં. હંમેશાં ગુણવત્તા અને નવીનતા પર ભાર મૂકતા ઠાકોરભાઈ 100 વીઘા જમીનમાં તેમનાં અનુભવનો ખેતીમાં પૂરતો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે ખેતીને માત્ર આર્થિક ઉપાર્જનના સાધન સુધી સીમિત ન રાખતા આત્મસંતોષ અને સમૃદ્ધિનું એક વ્યાવસાયિક માળખું બનાવ્યું છે.

